Published By galaxy news
Oct. 22, 2024, 3:17 p.m.

50 વર્ષ પહેલાં વેપારીએ ચોરેલા 37 રૂપિયા, જ્યારે વ્યાજ સાથે પરત કરવા વિદેશ ગયા

તામિલનાડુના કોયમ્બતૂરના એક વેપારીએ લગભગ પચાસ વર્ષ પહેલાં ચોરેલા રૂપિયા તાજેતરમાં પાછા આપ્યા હતા.

એ વેપારી કોણ છે? તેણે કેટલા રૂપિયા ચોર્યા હતા? હવે તેમણે કેટલા રૂપિયા પાછા આપ્યા? ખરેખર શું થયું હતું?

50 વર્ષ પહેલાંની ઘટના

સુબ્રમણ્યમ-ઈલુવાઈ દંપતી
ઇમેજ કૅપ્શન,સુબ્રમણ્યમ-ઈલુવાઈ દંપતી

તે 1970ના દાયકાના મધ્યભાગનો સમય હતો. સુબ્રમણ્યમ અને ઈલુવાઈ શ્રીલંકાના નુવારા એલિયા જિલ્લામાં મસ્કેલિયા નજીક અલાકોલા વિસ્તારમાં ચાના બગીચામાં કામ કરતા હતા. દંપતિ પોતાનું ઘર ખાલી કરીને બીજા વિસ્તારમાં રહેવા જવાનું હતું.

ઘર ખાલી વખતે તેમણે તેમના રણજીત નામના પાડોશી યુવાનની મદદ લીધી હતી. રણજીતે તેમને સામાન ખસેડવામાં મદદ કરી હતી.

જૂના ઘરમાંથી એક ઓશિકું હટાવ્યું ત્યારે તેની નીચે રણજીતે કેટલાક પૈસા જોયા હતા.

એ શ્રીલંકન ચલણમાં રૂ. 37.50 હતા. રણજીત એ વખતે બેરોજગાર હતા. રણજીતે કોઈને ખબર ન પડે એ રીતે પૈસા લઈને છુપાવી દીધા હતા.

થોડા સમય પછી ઈલુવાઈને યાદ આવ્યું હતું કે તેમણે ઓશિકા નીચે પૈસા મૂક્યા હતા.

નવા મકાનમાં સામાન ખસેડ્યા પછી દંપતિએ રણજીતને એ પૈસા બાબતે વારંવાર પૂછ્યું હતું, પરંતુ રણજીતે પૈસા લીધા હોવાનું કબૂલ્યું ન હતું.

એ વખતે ચાના બગીચામાં કામ કરતા લોકો ગરીબીથી ત્રાસેલા હતા અને રૂ. 37 ત્યારે પણ મોટી રકમ હતી.

એ પછી ઈલુવાઈ મંદિરે ગયાં હતાં અને ગૂમ થયેલા પૈસા બાબતે ભગવાનને ફરિયાદ કરી હતી. રણજીત પણ ઈલુવાઈની સાથે મંદિરે ગયા હતા.

ઈલુવાઈની સાથે રણજીત પણ ભગવાન સમક્ષ રડી પડ્યો હતા.

તેણે પ્રાર્થના કરી હતી કે “એ પૈસા મેં લીધા છે. ભગવાન મને કંઈ પણ થવા દેશો નહીં.”

રણજીત તામિલનાડુ આવ્યો

રણજીતે કોઈને ખબર ન પડે એ રીતે પૈસા લઈને છુપાવી દીધા હતા.

રણજિતનાં માતાનું નામ મરિયમ્મલ અને પિતાનું નામ પલાયીસ્વામી છે. એ બંને પણ શ્રીલંકાના પર્વતીય પ્રદેશમાં ચાના બગીચામાં મજૂર તરીકે કામ કરતાં હતાં.

રણજિતનો પરિવાર ઘણો મોટો હતો જેમાં ત્રણ ભાઈ અને ત્રણ બહેનો હતાં. ગરીબીને કારણે રણજિત બીજા ધોરણથી આગળ ભણી શક્યા ન હતા.

1977માં રણજીત 17 વર્ષનો થયો ત્યારે કામ કરવા અને રહેવા માટે તામિલનાડુ આવ્યા હતા.

તે ઘરમાંથી થોડું સોનું સાથે લાવ્યા હતા.

એ દિવસોને યાદ કરતાં રણજિતે જણાવ્યું હતું કે તામિલનાડુ આવ્યા પછી શરૂઆતમાં થોડી મુશ્કેલી થઈ હતી, પરંતુ પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો થયો હતો.

રણજિતે કહ્યું હતું, "ઘરેથી લાવ્યો હતો તે સોનું વેચી દીધું હતું. તેના પૈસા એક ડબ્બામાં મૂક્યા હતા. નુકસાન થયું અને હું ફરી રસ્તા પર આવી ગયો. મેં રેસ્ટોરાંમાં ટેબલ સ્વીપર અને રૂમ બોય તરીકે કામ કર્યું હતું. બસ સ્ટૅન્ડમાં સેલ્સમૅન તરીકે પણ કામ કર્યું હતું. હું એકેય કામ લાંબા સમય સુધી કરી શક્યો ન હતો. બાદમાં મેં નાના પાયે કેટરિંગ કંપની શરૂ કરી હતી. હવે એ કંપની મોટી બની ગઈ છે અને તેમાં 125 લોકો કામ કરે છે."

દેવાની ચૂકવણીની ઇચ્છા

ઓગસ્ટ-2024માં રણજીત કોલંબો ગયા હતા અને સુબ્રમણ્યમ પરિવારના સભ્યોને એક રેસ્ટોરાંમાં મળ્યા હતા.
ઇમેજ કૅપ્શન,ઑગસ્ટ-2024માં રણજિત કોલંબો ગયા હતા અને સુબ્રમણ્યમ પરિવારના સભ્યોને એક રેસ્ટોરાંમાં મળ્યા હતા.

રણજિતના કહેવા મુજબ, એક વખત તેની તબિયત સારી ન હતી ત્યારે તેમણે બાઇબલ વાંચ્યું હતું. તેમાં એક વાક્ય લખેલું હતુઃ "દુષ્ટ લોકો દેવાની ચૂકવણી કરતા નથી, પરંતુ પ્રામાણિક લોકો તેમનું દેવું ચૂકવી દે છે."

રણજિતે કહ્યું હતું, "એ પછી મેં કોઈની પાસેથી થોડાક પૈસા લીધા હોય તો પણ વચન આપ્યું હોય ત્યારે પાછા આપી દેતો હતો. મેં રૂ. 1,500ની લોન લીધી હતી. તે હું લાંબા સમય પછી ચૂકવી શક્યો હતો, પરંતુ મેં વર્ષો પહેલાં વૃદ્ધ દંપત્તિના ઘરમાંથી જે રૂ. 37.50 ચોર્યા હતા તે ચૂકવ્યા ન હતા."

"વૃદ્ધ દંપત્તિનાં દાદી એલુવાઈ મૃત્યુ પામ્યાં હોવાનું મને જાણવા મળ્યું હતું. તેઓ તેમની પાસે જે પૈસા હતા એ તેમના વારસદારોને આપવા ઇચ્છતાં હતાં. મેં શ્રીલંકામાંના મારા દોસ્તો મારફત તેમના વિશે વધારે માહિતી મેળવવાનું શરૂ કર્યું."

Leave a Comment

Your email address will not be published. Required fields are marked